Wednesday, December 7, 2016

અંતે પ્રેમ મારોય છે, તમારોય છે.

ગઈ કાલે રાત્રે ઊંઘ નો'તી આવતી. એમ તો ૨-૩ દિવસથી તબિયત નરમ-ગરમ હતી એટલે વધારે ઊંઘ ખરાબ થઇ. સ્હેજ તાવ પણ હતો.

તાવ આવ એટલે મારું મગજ ખુબ વિચાર્યા કરે. એવાજ કંઈક વિચારોમાં ખોવાયેલો હતો અને બાજુંમાં સુતેલી કિરણને આરામથી આરોળતાં જોઈ અને મને નીચેની પંક્તિઓ લખવાની પ્રેરણા મળી.

એમ શાને એકલા આળોટો છો?
આ બિસ્તર મારોય છે, તમારોય છે.

એમ શાને એકલા રડો છો?
હવે આ ગમ મારુંય છે,તમારુંય છે.

નથી રહી મંઝિલ મારા એકલાની,
એમાં પરિશ્રમ મારોય છે, તમારોય છે.

મુશ્કિલ જરૂર છે આ જીવન,
પણ એમાં સાથ મારોય છે, તમારોય છે.

કોઈ વાર રાહ તમે જોજો, કોઈ વાર હું જોઇશ,
આ ઇંતેજાર મારોય છે, તમારોય છે.

ખટપટ, ખટરાગ અને રીસામણા-મનામણા,
અંતે પ્રેમ મારોય છે, તમારોય છે.

- યશપાલસિંહ જાડેજા

Sunday, October 9, 2016

એ જૈફ વયના યુગલને સલામ

મારા ઘરથી ઓફીસ વચ્ચેનું અંતર આશરે ૯-૧૦ કિલોમીટરનું છે. ઓફિસનો ટાઈમ ૯:૩૦ હોવા છતાં હું ૫-૧૦ મિનીટ વહેલા પહોચાય એ રીતે ઘરેથી નીકળું છું.

વહેલાં નીકળવાના ૨ કારણો છે :

(૧) ઓફીસ જવાના રસ્તે સાબરમતી નદી, નદી કિનારે આવેલા ગામડાઓ અને ખેતર આવે છે. મને આવું કુદરતી વાતાવરણ ઘણું ગમે. એટલે એકટીવા ધીમે ધીમે ચલાવતા હું રસ્તે આવતું આ બધું જોવું છું અને માણું છું. મન પ્રફુલ્લિત થઇ જાય અને માંહ્યલા (આત્મા) ને શાંતિ મળે.

(૨) બીજું કારણ એ છે કે આવા પ્રાકૃતિક રસ્તા પર જતાં મારું મન એકાંત અનુભવીને સારા વિચારે ચડે છે. મનને શાંતિ મળે છે.

આવા જ એક દિવસે મેં એક જૈફ વયના યુગલને રસ્તાની કિનારે ચાલતા જોયું. ખેતરે મજૂરી કરવા જતા હોય એવું લાગ્યું. ભાદરવા મહિનાના તાપમાં (કે ઉકળાટમાં ???) ચાલીને જતા હતાં. પરસેવે રેબઝેબ હતાં. પણ એમના ચેહરા પર ગજબની ખુશી હતી. ખુબ જ સંતોષી જીવ લાગ્યા.

ત્યારે મને વિચાર આવ્યો કે માણસ દિલથી ખુશ હોવો જોઈએ અને ભગવાને જે આપ્યું છે તેના માટે ભગવાનનો આભાર વ્યક્ત કરવો જોઈએ. જે આપ્યું છે તેના માટે સંતોષ હોવો જોઈએ. એ જ ભગવાનને સાચી રીતે થેંક યુ કહેવાની રીત છે એવું હું માનું છું.

આપણે એ.સી. વાળી ઓફિસ અને ઘરમાં બેસીને, કહેવાતી બધીજ ભૌતિક  સગવડતાઓ ભોગવતા હોવા છતાં સંતોષી નથી, સુખી નથી. અને એ યુગલ જાણે નવા જ લગ્ન કરીને આવ્યું હોઈ એ રીતે ખુશ થઈને, ભગવાનને થેંક યુ  કહેતા કહેતા, ચાલીને મજૂરીએ જતું હતું. ધન્ય છે.

Monday, August 29, 2016

10 એવી બ્લોગ પોસ્ટ્સ જે મને લખવી ગમશે

  1. જેમ્સ અલટુચર વિષે અને એની સલાહ: રોજની પ્રેક્ટિસ અને દરેક દિવસના 10 નવા વિચાર વિષે. (આ પોસ્ટ લખવાનું કારણ પણ એજ છે.)
  2. એ લોકો વિષે જેમની પાસેથી મેં કંઈક શીખ્યું અને જેમને હું આદર આપું છું.
  3. કેમ થોડા દિવસોથી મને સ્માર્ટફોન પર ગુસ્સો આવે છે અને ખાસ કરીને સોશિઅલ-મીડિયા એપ્સ પર.
  4. અમુક ટેવો જે મારે જીવનમાં અપનાવવી છે અને જીવન બદલવું છે.
  5. મારા ભય વિષે.
  6. 10 પુસ્તકો જે મને અત્યાર સુધી ગમ્યા છે.
  7. મને લખવાની ઈચ્છા થાય એવા પુસ્તકો.
  8. વિવિધ કારકિર્દી જે મેં બાળપણમાં વિચારેલી.
  9. મારા પેનના શોખ વિષે અને મેં વાપરેલી પેન વિષે.
  10. કેમ મને વેઇટ-લિફ્ટિંગ (જીમની કસરતો) કરતા યોગ અને પ્રાણાયામ વધારે ગમે છે.

Sunday, July 31, 2016

હાથેથી લખવું

વર્ષો પહેલાં જયારે સ્કુલ-કૉલેજમાં હતો ત્યારે હોમવર્ક કરવાનો ભારે કંટાળો આવતો. ખાસ તો એટલા માટે કે હોમવર્ક લખીને કરવું પડતું.

પણ હવે એ દિવસો યાદ આવે છે.

હવે હાથેથી લખવાનું નહિવત થયું છે. પણ હજું મારા હાથ ઘણીવાર લખવા માટે તલપાપડ થાય છે અને મને એ જુના દિવસો યાદ આવે છે.

કોમ્પ્યુટર્સ આવી જતા બધું લખવાનું કોમ્પ્યુટરના કીબોર્ડ પર જ થતું હોવાથી હાથેથી લખવાની પ્રેક્ટિસ છૂટી ગઈ છે.

હમણાં થોડા દિવસો પહેલાં કમ્પનીમાં ટ્રેનિંગ હતી. ટ્રેનિંગને અંતે અમારે એક લેખિત પરીક્ષા આપવાની હતી. ઘણા વર્ષો પછી આ રીતે પરીક્ષા આપી. લખવું ઘણું હતું, પણ અફસોસ, પ્રેક્ટિસ ન હોવાથી વારે ઘડીયે હાથ દુઃખી જતો હતો. અને ઘણી વાર એવું પણ બન્યું કે મગજના વિચારો અને હાથ ના લખાણ વચ્ચે જે સિન્ક્રોનાઇઝેશન હોવું જોઈએ એમાં હાથ પાછળ રહી જતો હતો.

સ્કૂલ-કોલેજના હોમવર્કને બાદ કરતાં મને પેનથી પેપર પર લખવાનું ગમતું. મને મજા આવતી મારા વિચારોને પેપર પાર ઉતારવાની. મારી ઘણી બધી કવિતાઓ અને જૂની બ્લોગ પોસ્ટ્સ મેં હાથ વડે લખીને પછી જ કોમ્પ્યુટર પર ઉતારી છે. પણ હવે બહુ ઓછું લખાય છે.

પેન-પેપર થી લખવાનો બીજો ખાસ ફાયદો એ થાય છે કે તમે ઓછા ડિસ્ટર્બ થાવ છો અને તમારા મગજમાં ચાલતા વિચારો તમે જલ્દી કાગળ પર ઉતારી શકો છો.

હવે નક્કી કર્યું છે કે દિવસમાં એકાદ પાનું તો હાથેથી લખવું.

Tuesday, July 19, 2016

પોતાની અંદરના ગુરુને જગાડો

આજે ગુરુ-પૂર્ણિમા છે. આજને દિવસે આપણે આપણા ગુરુઓને વંદન કરી એમના આશીર્વાદ લઈએ  છીએ.

પણ આપણે એ પણ ભૂલી જઈએ છીએ કે આપણી અંદર પણ એક ગુરુ છે. જે હર ઘડી આપણી સાથે જ હોઈ છે અને આપણને માર્ગદર્શિત કરે છે. એ ગુરુ આપણી બધી જ ખામીઓ અને ખૂબીઓ જાણે છે અને એ મુજબ આપણને પથ પણ બતાવે છે.

તકલીફ એક જ છે કે આપણે એ ગુરુ નું સાંભળતા નથી અથવા તો આપણે એમને સાંભળવાનું જ બંધ કરી દીધું છે. 

ગુરુ શબ્દ સંસ્કૃતના બે શબ્દ થી બનેલો છે: 'ગુ' નું અર્થ અંધકાર કે અજ્ઞાનતા થાય. અને 'રુ' નો અર્થ (અંધકાર) દૂર કરનાર થાય. અર્થાત ગુરુ આપણને અંધકાર માંથી દૂર કરીને અજવાળા તરફ લઈ જનારા છે.

હું એ ગુરુની વાત કરું છું જે આપણી અંદર છે.

આપણે બાહ્ય વિશ્વમાં એટલા ઓતપ્રોત છીએ કે આપણને આ ગુરુની વાતો કે એમનું માર્ગદર્શન સંભળાતું જ નથી. અને એટલે જ આપણને આપણા જીવનમાં છીછરાપણું લાગે છે.

ભારતીય પરંપરા મુજબ આપણે આપણા ગુરુનું કહેલું માણીયે છીએ અને એમના જ્ઞાનને માણીયે છીએ. એમાં કોઈ શંકા નથી કરતા. એજ મુજબ આપણે આપણી અંદર રહેલા ગુરુને પણ સાંભળવા જોઈએ અને એ મુજબ વર્તવું જોઈએ.

 સ્વ-વિકાસ અને મનની શાંતિ માટે આ ખૂબ જ જરૂરી છે. 

એટલે આપણે બધાએ આપણી અંદરના ગુરુ ને સાંભળવા પડશે.

કેટલીક ટિપ્સ :
  1.  એકાંત: માણસને એકાંત મળે તો જ એ એના અંતરાત્માના અવાજ ને સાંભળી શકે. અવાજ અને બીજી ધમાલથી આપણે  રહીશું એટલા જ આપણે આપણા ગુરુને સાંભળી શકીશું.
  2. મોબાઈલ બંધ: આપણને ડિસ્ટર્બ કરવામાં અને આપણને ખલેલ પહોંચાડવામાં મોબાઈલ પહેલા ક્રમે આવે છે. મારા અંગ્રેજી બ્લોગ પર આ વિશેની પોસ્ટ વાંચો - Disconnect to Connect 
  3. લાખો: તમને પજવતા પ્રોબ્લેમ્સ વિશે લખવાથી આપણા મગજમાં ચાલતા વિચારો વધારે ક્લીઅર થાય છે અને પછી આપણને એ પ્રોબ્લેમ્સ સોલ્વ કરવા માટે ના નવા વિચારો આવે છે.
  4. ધ્યાન: ધ્યાનમાં બેસવાથી આપણું માં શાંત થાય છે અને સરવાળે આપણે આપણા પ્રોબ્લેમ્સ પર વધારે સારી રીતે કોન્સનટ્રેટ કરી શકીયે છીએ.
હેપ્પી ગુરુ પૂર્ણિમા.
 

 

Friday, July 15, 2016

લર્નિંગ લાઇફલોંગ છે

હમણાં ઓફિસમાં 5 દિવસની ટ્રેનિંગ હતી. ઘણું શીખવા મળ્યું અને ખાસ તો મને ટ્રેનરની એક વાત ખાસ ગમી. એ રોજ લર્નિંગ - નવું શીખવાની પર વધુ ધ્યાન કેન્દ્રિત કરતા હતા.

અમને શીખવવા એ રોજ નવી નવી વિચારવાલાયક કસરત કરાવતા. અને પછી અમારી ભૂલો અને સારી બાબતો અમને જણાવતા.

રોજ નવું શીખવાની અને શીખવવાની એમની ટેકનીક મને ગમી.

મને અમુક વાર નવું શીખવાની બીક લાગતી હતી કારણ કે એ આપણા કમ્ફર્ટ ઝોન થી બહાર હોઈ. પણ હવે નક્કી કર્યું કે શીખવાથી ગભરાવું નહીં અને રોજ નવું શીખતાં રેહવું.

લીઓનાર્ડો દા વિન્સી નું એક સરસ સૂત્ર છે : Learning never exhausts the mind.

નવું શીખવાથી મગજ ને કોઈ દિવસ થાક નથી લાગતો. ઉલ્ટું એ વધારે તાજગી અનુભવે છે.

Tuesday, July 12, 2016

ટામેટા 80 રૂપિયે કિલો

1 કિલો ટામેટા થેલીમાં લઈને તમે શાક માર્કેટમાંથી નીકળો એટલો લોકોની નજર થેલી પર એવી રહે જાણે 1 કિલો સોનું લઈને તમે નીકળા હો !!! સારું છે ટામેટા બેન્ક લોકરમાં મુકવા નથી જવું પડતું. ‪#‎મોંઘવારી‬

Tuesday, June 28, 2016

yashpaljadeja.com ના 5 વર્ષ

 આજથી 5 વર્ષ પહેલાં મેં www.yashpaljadeja.com ડોમેઈન ખરીદેલું .

મને બરાબર યાદ છે એ દિવસ. હોસ્ટેલમાં એક મિત્રએ મને ડોમેઈન નેમ ખરીદવા કીધેલું જેથી કરીને ગૂગલે એડસેન્સ નું એપ્રુવલ તરત મળે. (એ પહેલાં પણ મેં એડસેન્સ માટે પ્રયત્ન કરેલો પણ કાયમ રિજેક્ટ થતું હતું)

એટલે મેં આ ડોમેઈન ખરીદ્યું અને એડસેન્સ પણ તરત અપ્રુવ થઈ હતી.

નોંધ - બ્લોગ તો ઘણા વખત થી લખતો હતો, પણ ડોમેઈન આજથી 5 વર્ષ પહેલાં ખરીદેલું. એ પહેલાં આ બ્લોગ નું એડ્રેસ હતું - www.yashpaljadeja.blogspot.com 

નવાજુની - 7

આજે મને જાણવા મળ્યું કે મારી સાથે નોકરી કરતા આલાપ મેહતા ના ફુવા એટલે 'પ્રિયજન' નવલકથાના લેખક શ્રી વિનેશ અંતાણી.

વાત એમ હતી કે રાકેશએ એવું કીધું કે હું કવિતાઓ લખું છું. એટલે જુહીએ પૂછ્યું કે ક્યાં છે તમારી કવિતાઓ ?

એટલે મેં આ બ્લોગની વાત કરી. અને એ બધાં (આલાપ, જુહી, નીરવ) આ બ્લોગ ખોલીને બેસી ગયા અને મારી કવિતાઓ વાંચવા લાગ્યા.

એ સમયે આલાપે કીધું કે મારા ફુવા વિનેશ અંતાણી પણ લખે છે. એ જાણીને મને સુખદ આશ્ચર્ય થયું અને મેં આલાપને કહ્યું કે જો શક્ય હોઈ તો મને એમની સાથે મુલાકાત કરાવી આપે.

મેં સહુથી પહેલા વિનેશ અંતાણીને દિવ્યભાસ્કરની રવિપૂર્તિમાં વાંચેલા. અને મને એ લેખમાં એક નવો શબ્દ જાણવા મળેલો એ મને હજી યાદ છે. શબ્દ હતો 'માલીપા'. માલીપા શબ્દનો નજીકનો અર્થ થાય - within.

એ પછીમે એમની લેખન યાત્રા વિશે "લખવું એટલે કે..."માં વાંચી.

અને ત્યારબાદ 'પ્રિયજન' નવલકથામાં. પ્રિયજન મને ખૂબ જ ગમેલી.

મને લેખકો-કવિઓને મળવાનું ગમે છે. કારણ કે મળીને મને પણ લખવાની પ્રેરણા મળે છે.

જોઈએ હવે વિનેશ સાહેબને ક્યારે મળાય છે.

Tuesday, June 7, 2016

નવા મોબાઈલ ફોન્સનો મોહ હવે રહ્યો નથી

મોબાઈલ ક્રાંતિ અને સસ્તાં સ્માર્ટ ફોન્સની ઉપલબ્ધતાને લીધે મોબાઈલ ફોન્સમાં નવા-નવા ફીચર્સને જોવા-જાણવાની ઉત્સુકતા આજથી 10 વર્ષ પહેલાં હતી તે નથી રહી.

વાત એમ છે કે ગઈ કાલે કિરણનો નવો ફોન - રેડ્મી નોટ 3 ઘરે આવી ગયો. અને કિરણે તરત જુના ફોનમાંથી સીમ કાઢીને નવા ફોનમાં નાખી દીધો અને ફોન જાને વર્ષોથી એ વાપરતી હોઈ એમ વાપરવા લાગી.

એટલે મને આ વિચાર આવ્યો કે આજથી 10 વર્ષ પહેલાં જયારે આપણે નવો ફોન લેતા ત્યારે સૌપ્રથમ તો આપણે એનું મેન્યુઅલ ધ્યાનપૂર્વક વાંચતા અને પછી જ મોબાઈલ ને હાથ લગાડતાં.

એમાં કોઈ શંકા નથી કે બધાં ફોન્સમાં એક સરખા જ ફીચર્સ હોઈ, પણ એક આમ-આદમી માટે હવે એવા ખાસ કોઈ ફીચર્સ નથી કે નવા ફોનનો પહેલાં જેટલો મોહ રહે. જેમ કે એન્ડ્રોઇડ વાળા ફોન્સ 5000 થી લઈને 50,000 સુધીના મળે છે. ફરક ફક્ત હાર્ડવેરને લગતો હોઈ છે - સોફ્ટવેરના એકાદ-બે અપડેટ્સ બાદ કરતાં. 

Monday, June 6, 2016

આપણા જીવનની કરુણાંતિકા

મૃત્યુ એ જીવનની કરુણાંતિકા નથી, પણ જીવતે જીવ આપણે જે આપણા માંહ્યલાને (આત્માને) મારીએ છીએ એ છે. - નોર્મન કઝીન્સ
રોબીન શર્માના પુસ્તક "Who Will Cry When You Die" ના પહેલાં પૃષ્ઠ પર આ સુંદર વાક્ય વાંચ્યું.

મેં આ પુસ્તક પહેલાં પણ વાંચેલું છે - કદાચ કોઈ લાઇબ્રરીમાંથી લઈને અથવા તો કોઈ મિત્રના અંગત કલેક્શન માંથી. અને ત્યારે જ નક્કી કરેલું કે આ પુસ્તક હું વસાવીસ. 4-5 દિવસ પહેલાં એમેઝોન પર આ પુસ્તક ખુબ જ સારા ડિસ્કાઉંટ સાથે મળતું હતું એટલે ખરીદી લીધું જે આજે ઘરે આવ્યું.

આ એવું પુસ્તક છે જે કોઈ પણ માણસ ગમે ત્યારે અને ગમે તે સમયે વાંચી શકે છે અને એમાં દરેકને કઈ ને કઈ ઉપયોગી વાંચવા લાયક, વિચારવા લાયક અને એમના જીવનમાં અમલ કરવા લાયક મળશે.

દાખલા તરીકે, લેખક પહેલાં પાઠમાં આપણને આપણી ખૂબીઓ અને શોખ જાણવા કહે છે અને આપણને આપના મકસદ વિચારવા કહે છે.  વિજ્ઞાન અને ટેકનોલોજી ના વિકાસ દ્વારા આપણે માયલો દૂર રહેતાં આપણા મિત્રો ને તરત કૉલ કરીને વાત કરી શકીએ છીએ પણ આપણને આપણી જાત સાથે વાત કરવાનો સમય નથી મળતો. આપને ભૂલી જઈએ છીએ કે આપણા જીવનનો હેતું શું છે અને આપણું દિલ શું કહે છે ? અને એટલે જ પછી આપણને ફૂટબોલની જેમ જીવન ઉછાળે છે અને આપણે ઉછળતા રહીએ છીએ.

ટૂંકમાં એક અદભુત પુસ્તક જે તમને જિંદગી જીવતા શીખવે.

Friday, May 20, 2016

ઉનાળાએ ભારે કરી

આ વર્ષે ઉનાળો ખુબ જ આગ ઝરતો રહ્યો. તાપમાન 49 ડીગ્રી સે. સુધી પહોચ્યું અને હજુ આવનારા દિવસોમાં 50 વાતે તો નવાઈ નહિ. નસીબજોગે ઓફિસમાં એ.સી. છે એટલે બપોરનો સમય આરામપૂર્વક નીકળી જાય છે પણ રાત્રે સુતી વખતે ખુબ જ ગરમી લાગે છે.
ગરમી થી બચવા ગઈ કાલે વોટર કૂલર લઇ આવ્યો.

આશા રાખીએ આ વખતે વરસાદ વહેલો આવે અને પુષ્કળ આવે.

Monday, May 2, 2016

અમદાવાદ ઐર શો અને પુસ્તક મેળો

ગઈ કાલે અમે અમદાવાદની મુલાકાત લીધી. ઐર શો જોયો અને પછી પુસ્તક મેળામાં પણ ગયા. મજા આવી.

અમદાબાદ પહોચ્યાં બપોરના 2 વાગે. પહેલા રાણીપમાં આવેલ નેશનલ હેન્ડલૂમની મુલાકાત લીધી. ત્યાંથી પછી અમે પેપરમાં વાંચ્યા મુજબ ઐર શો નો ટાઈમ 4 વાગ્યાનો હતો એટલે 3:45 એ સાબરમતી રીવરફ્રન્ટ પોહોચ્યા. ત્યાં જઈને ખબર પડી કે ઐર શો નો ટાઈમતો 5:30 નો છે. ગરમી એટલી હતી કે સાબરમતી રીવરફ્રન્ટ પર 5:30 સુધી બેસાય તેમ નો'તું. એટલે આશ્રમ રોડ પર આવેલ મેક-ડોનાલ્ડસ માં ગયા અને આરામ થી બેઠા.

શોના ટાઈમ પેહલા પહોચ્યા ને શો જોયો. મજા આવી.

પછી મને ગમતા પુસ્તક મેળામાં ગયા. ત્યાં બધા હોલ એ.સી. હોવાથી ઘણી રાહત થઇ. રાજા હોવાને કારણે ઘણી ભીડ હતી એટલે અમે બધા સ્ટોલ ફક્ત ઉપરછલ્લા જોયા અને નક્કી કર્યું કે સમય લઈને 7 તારીખ સુધીમાં આવશું.

જય વસાવડાના લેક્ચર્સ ની એક ડી.વી.ડી. લીધી - "વાંચન દ્વારા વિકાસ". પણ લેપટોપમાં ડી.વી.ડી. પ્લેયર ન હોવાથી સંભાળવા માટે થોડી રાહ જોવી પડશે.

એકંદરે ખુબ સારો દિવસ રહ્યો.

આજ સવારથી થોડું વાદળછાયું વાતાવરણ હતું અને સાંજે હું કમ્પની પરથી ઘરે આવવા નીકળ્યો ત્યારે જ વરસાદ પડ્યો અને ઘરે પોહોચ્યો એટલે બંધ થઇ ગયો. :-(

Thursday, April 28, 2016

બીલેટેડ હેપ્પી બર્થડે

ગઈ કાલે જીવનના 30 વર્ષ પુરા કર્યા. સાંજ સુધી તો દિવસ સામાન્ય રહ્યો. આખો દિવસ ઓફીસના કામમાં અને બધાં મિત્રોના કૉલ અને મેસેજીસના જવાબો આપવામાં ગયો.

પછી સાંજે ઘરે આવ્યા પછી હું અને કિરણ બહાર ફરવા ગયા - અગોરા મોલ. ઘરની થોડી ચીજ-વસ્તુઓ લીધી.

ઘરે આવીને હું ફરી મોબાઈલ પર વ્યસ્ત થઇ ગયો. એ દરમિયાન કિરણ રસોડામાં ગઈ અને મારી જાણ બહાર એને ડાઈનીંગ ટેબલ પર મીણબત્તીઓ મૂકી ને શણગારી. અને પછી મને ડાઈનીંગ રૂમમાં બોલાવી અને અમે કેન્ડલ-લાઈટ ડીનર કર્યું.

જમ્યા પછી એને મને એક પુસ્તક આપ્યું ગીફ્ટમાં - "યુ આર ધ પાસવર્ડ તો માય લાઈફ". સુદીપ નાગરક્ર દ્વારા લિખિત આ પુસ્તક નું નામ મેં પેહલી વખત સાંભળ્યું. પણ મને એનું ટાઈટલ ગમી ગયું. કિરણએ પણ ટાઈટલ જોઇને જ ખરીદ્યું.

અને પછી થોડી વારમાં ઘરે મહેશ અને ચેતન કેક લઈને આવ્યા. :-)

કિરણ અને બાકી બધા મિત્રોનો ખુબ ખુબ આભાર. બીજી સરપ્રાઈઝ આજે મળી. નૂપુરે પણ આજે કેક મોકલાવી. 12 કલ્લાકમાં 2 કેક. ;-)

Wednesday, March 16, 2016

કૉલેજ ટૂ કોર્પોરેટ

માર્ચ ૨૦૧૫ થી માર્ચ ૨૦૧૬ સુધીમાં મારા જીવનમાં ઘણા ફેરફાર આવ્યા. ગાંધીનગર છોડી ને વડોદરા, વડોદરા થી ભરૂચ અને ભરૂચ થી ફરી પાછા ગાંધીનગર.

અને આ વખતનો ફેરફાર ઘણો મોટો છે. આસીસ્ટંટ પ્રોફેસર માંથી હવે બન્યા અસીસ્ટંટ મેનેજર. શૈક્ષણિક કારકિર્દી છોડી ને આવ્યા છીએ કોર્પોરેટ ક્ષેત્રમાં.

બંને ક્ષેત્રો ના ફાયદા-ગેરફાયદાઓ તો છે જ. અત્યારે મારા માટે એ કેહવું મુશ્કેલ છે કે કયું મને વધારે ગમે છે.

પણ એક વાત હું ખાસ મિસ કરું છું. અને એ છે મારા વાહલા વિદ્યાર્થીઓ.

જોઈએ જીવન આગળ ક્યાં લઇ જાય છે.    

Wednesday, January 6, 2016

आप कुछ वक्त और रुक जाते पापा

પઠાણકોટ એયર-બેઇઝ પર થયેલા આતંકવાદી હમલામાં શહીદ થયેલા આપણા જવાનોને સલામ અને ભગવાન એમના પરીવાર જનોને શક્તિ આપે એવી પ્રાર્થના. પઠાણકોટમાં શહીદ થયેલા જવાનોમાં એન.એસ.જી ના કમાન્ડો શ્રી. નિરંજન કુમાર પણ છે. એમની નાની ૧૮ મહિનાની દીકરીનો ફોટો જોઇને મારું હૃદય દ્રવી ઉઠ્યું. અને નીચે લખેલી કવિતામાં મેં એ નાની ઢીંગલીની લાગણીઓ દર્શાવવાની કોશિશ કરી છે.

आप कुछ वक्त और रुक जाते पापा,
तो आखरी बार गले लग जाती पापा.

अभी तो मैंने सिर्फ चलना शुरू किया था,
आपकी ऊँगली पकड़ कर मुझे दौड़ना था पापा.

शाम होते ही आपकी याद आती हे,
कंधो पे बिठाकर घुमाने कौन ले जाएगा पापा ?

माँ की आखे रो-रो के हारी,
आप होते तो संभाल लेते न पापा ?

मेरी सारी जिद्द आप पूरी करते थे,
अब मेरी ख्वाहिशें कौन पूरी करेगा पापा ?

आपकी गुडिया को यु न छोड़ जाते बेसहारा,
आप कुछ वक्त और रुक जाते पापा.

- यशपालसिंह जाडेजा

Sunday, January 3, 2016

નવું લેપટોપ

આખરે મેં મારું જુનું ડેલનું લેપટોપ ખાલી કર્યું અને નવું લેનોવોનું લેપટોપ વાપરવાનું ચાલું કર્યું, જે મને મારા જન્મદિવસ પર વિજયભાઈએ ગીફ્ટમાં આપ્યું હતું. ડેલનું લેપટોપ મેં ૭ વર્ષ વાપર્યું. ખાસ્સી કાળજી પણ રાખી અને ઘણું સારું ચાલ્યું. હજું પણ ચાલું અવસ્થામાં જ છે.

નવું લેપટોપ મારા જુના લેપટોપ કરતાં ખાસ્સું હલકું છે. એટલે લેપટોપ બેગનો વજન ઓછો લાગશે. વિન્ડોઝ ૮.૧ પ્રિ-ઈનસ્તોલ્ડ આવેલું જેને મેં વિન્ડોઝ ૧૦ પર અપગ્રેડ કર્યું અને સાથે સાથે એક બીજું પાર્ટીશન પાડીને ઉબુન્ટુ પણ ઇન્સ્ટોલ કર્યું.

મારા વહાલાં બાળકોને - ૫

મારા વાહલા બાળકો, બીલેટેડ હેપ્પી બર્થડે! આ પોસ્ટ તમને ઘણા વખત પહેલાં લખવાની હતી પણ, સમય નો અભાવ અને ખાસ કરીને આળસને લીધે આ પોસ્ટ રહી જ જતી હ...