Monday, May 27, 2013

પ્રેમ અને સ્ત્રીઓની અનિવાર્યતા વિષે ચંદ્રકાંત બક્ષીના બે અદ્ભુત વાક્યો.

"સહન કરતાં કરતાં ફાવવાની જે પ્રણાલિકા પડે છે એને બહુ રૂપેરી નામ આપ્યું છે - પ્રેમ"

"જ્યાં સુધી ઉત્પત્તિ અને વિકાસ માટે સ્ત્રીઓ અનિવાર્ય છે ત્યાં સુધી પ્રેમમાંથી છુટકારો નથી"

- ચંદ્રકાંત બક્ષી
('ચંદ્રકાંત બક્ષીની શ્રેષ્ઠ વાર્તાઓ' માંથી. વાર્તા : 'અમે'. પૃષ્ઠ : 206)

બ્રહ્મચર્યાશ્રમ અને ગૃહસ્થાશ્રમની વચ્ચે એક આશ્રમની જરૂર હતી.

બ્રહ્મચર્યાશ્રમ અને ગૃહસ્થાશ્રમની વચ્ચે એક આશ્રમની જરૂર હતી એમ મને હંમેશા લાગ્યા કર્યું છે. એમાં રખડવાનું આવી જાય; સ્ત્રીઓ તરફનું જામતું આકર્ષણ આવી જાય.

- ચંદ્રકાંત બક્ષી
('ચંદ્રકાંત બક્ષીની શ્રેષ્ઠ વાર્તાઓ' માંથી. વાર્તા - તમે આવશો ? પૃષ્ઠ - ૧૩૦)

રોજ નવા સ્વાદ વાળી ચા

આજકાલ મહેશને vacation પડ્યું છે એટલે એ ઘરે ગયો છે. ઘરમાં ફક્ત હું અને કિરણ હોઈએ છીએ.

સવારમાં રોજ ૬-૬:૩૦ની વચ્ચે દૂધવાળો દૂધ લઈને આવે છે અને અમારી ઊંઘ બગાડે છે.

કિરણ ને કૉલેજ મારા કરતા વહેલાં જવાનું હોય છે એટલે એ વહેલો ઉઠી જાય છે. દૂધવાળો એના માટે alarm નું કામ કરે છે. 

સવારે અમુક વાર હું ચા બનાવું, ખાસ કરીને જ્યારે કિરણ ને મોડું થઇ ગયું હોય ત્યારે અથવા તો એ ઘરે ગાય હોય અને હું એકલો હોવ ત્યારે.

મને રસોઈ કરવાનો કંટાળો આવે - ખાસ કઈ રાંધતા પણ નથી આવડતું. નાનપણથી maggi બનાવતો - પણ બીજું કઈ ખાસ નથી.

ઘરના કામો જેમ કે વાસણ ધોવા, કપડાં ધોવા, કચરા-પોતા કરવા આટલા કામો મને ફાવે. પણ રસોઈ કરતા, કપડાને ઈસ્ત્રી કરતા અને કપડાંને ગડી કરતાં નથી ફાવતું અને ગમતું પણ નથી.

ન ગમવાનું કારણ એ કે ઉપરના ત્રણ કામમાં થોડી ચીવટ અને ધીરજ રાખવી પડે એટલે એવા કામ ઓછાં ગમે. 

હવે વાત એમ છે કે ચા હું જ્યારે જાતે બનાવું છું ત્યારે હું કોઈ પણ માપ વગર, તપેલીમાં દૂધ જે કઈ વધ્યું હોય એ દૂધની ચા બનવું.

એટલે  અમુક વાર જો દૂધ ઓછું હોય તો ચા વધુ પડે અને દૂધ વધુ હોય તો ચા ઓછી પડે. એટલે જેટલી વાર ચા બનવું એટલી વાર એનો સ્વાદ અલગ જ હોય.

થઇ ને રોજ નવા સ્વાદ વાળી ચા ?

Monday, May 13, 2013

હૈયું, કટારી અને હાથ

સ્નેહનું પાણી શૂરનું પાણી,
પોતના પ્રચંડ પૂરનું પાણી,
હસતું રમતું રણમાં દીઠું,
સત અને સિન્દૂરનું પાણી,
વાહ રે ‘ઘાયલ’ કચ્છનું પાણી !

- અમૃત ઘાયલ 
અમૃત ઘાયલે લખેલી ઉપરની પંક્તિઓ કચ્છના પાણી ની વાત કરે છે. અહિયાં પાણી એટલે 'ખમીર' ની વાત છે. એવાં જ એક ખમીરવંત કચ્છી એટલે શ્રી જુવાનસિંહ જાડેજા. 

યુવાન વયે પી.એસ.આઈ તરીકે પોલીસખાતામાં જોડાઈને ડેપ્યુટી કમિશનર - ડી.એસ.પી તરીકે નિવૃત થનાર પહેલાં કચ્છી. અને એમની સાહસિક કારકિર્દી ગાથાનું વર્ણન એમણે 'હૈયું, કટારી અને હાથ'માં કર્યું છે.

સળંગ બે દિવસ વાંચીને પૂરું કરી નાખ્યું એટલું રસપ્રદ એમનું લખાણ છે. આ ગાથાનું સંકલન એમના પત્ની શ્રી અરુણા જાડેજાએ કર્યું છે - જેમની કૃતિઓ મેં 'જનકલ્યાણ' અને 'પથ અને પ્રકાશ'માં અગાઉ ઘણી વાર વાંચેલી .

પુસ્તક વાંચીને અને એમની નીડરતા, આત્મવિશ્વાસ અને મનોબળની વાતો સાંભળીને દરેક વાચક ને એમને સલામ કરવાની ઈચ્છા થઇ આવે.

આજે જ્યારે ઠેર ઠેર પોલીસખાતાને વગોવાય છે ત્યારે આ પુસ્તક વાંચીને દરેક ને ખબર પડશે કે પોલીસને વાગોવવી સહેલી છે પણ એ લોકો જે પ્રકારનું કામ કરે છે, જે પરિસ્થિતિઓ નો સામનો કરે છે, ખડે પગે ઉભા રહીને દિન-રાત આપણને શાંતિથી સુવા દે છે અને આ બધું કરવામાં એ એમના ખુદના પરિવારને સમય નથી આપી શકતા એ જાણીને આપણને પોલીસખાતાને સલામ કરવાની ઈચ્છા થઈ આવે.

પુસ્તકમાં જેમ એમના પત્નીએ લખ્યું છે એમ -
લોકો તો હાલતા જાય અને હડસેલો મારતા જાય. 'હલકું નામ હવાલદાર'નું એવી અફવા ફેલાવતા જાય. પણ એ હલકા નામને વેઠવી પડતી હાડમારીની કોઈને જાણ છે ખરી? એ હવલદારના ઘરવાળાનાં શા હાલહવાલ છે તેની કોઈને પડી છે ખરી? સાચી વાત, ખુદ આ લખનાર ઘરવાળીનેય ક્યાં કશી ખબર હતી ? નથી રે પીધાં જાણી જાણી, ઝેર તો પીધાં અણજાણી. હાથે કરીને તે કોઈ આવા ભમ્મરિયા કૂવામાં કૂદતું હશે ? આ તો માંહી પડ્યા તે મહાદુઃખ પામે તેમાંનું છે !
આ પોલીસાણીએ કોઈ સામાજિક કે કૌટુંબિક પોલિસી ઉતરાવેલી હોતી નથી. સહિયારા જીવનના લીધેલા શપથ એકલપંડે જ નિભાવવાના હોય છે. છતે ધણીએ ન-ધણિયાતા થઈને રહેવું શેં ? સહેવું તે શેં ? અને મહાલવું તે શેં ? બધા જ અવસર સાર વગરના. દીકરા-દીકરીની સગાઈ ટાણે કે મકાનના વાસ્તુટાણે પતિદેવની હાજરી માટે કેટકેટલીય બાધાઆખડી રાખવી પડે. એ પછી આ અભાગણીનાં ભાગ ખૂલે તો તેઓ પ્રગટ થાય. એટલો વળી પાડ માનવાનો કે પોતાના લગ્નનું મુરત સાચવી જાણે નહીં તો ખાંડુ મોકલતા એમને શી વાર….
..................
 સાજેમાંદે પતિદેવની ગેરહાજરી અચૂક સાલે. દીકરો ક્યારે ઊઘલ્યો અને દીકરીઓ એક પછી એક ક્યારે વળાવી, ક્યારે કોઈ દવાખાને દાખલ થયું, ક્યારે કોઈ ઘરે આવ્યું કે ક્યારે કોઈ સીધું જ સિધાવ્યું ! એ બધું જ એમની ફરજપરસ્તીમાં વહી ગયું. મંજૂર થયેલી રજા એન મોકા પર જ નામંજૂર થાય. કપરો સમય કઠણ કાળજે આ પોલીસાણીને એકલા જ કાઢવાનો આવે. અઠવાડિયાના પરચૂરણ વાર તો સમજ્યા મારા ભાઈ પણ રવિવાર જેવા રવિવારમાં ભલીવાર નહીં.
...................
પહેલાના વખતમાં બૉંબાર્ડિંગ થતું હોય, શહેર આખું ને આખું ખાલી થતું હોય, વેરાન વગડામાં આવેલી બંગલીમાં નાનાં બાળબચ્ચાં સાથે એકલું કેમ રહેવાય, તો પતિને આવા કપરા ટાણે એકલા મૂકીને કેમ જવાય ? જીવીશું-મરીશું સાથે જ. ખૂનખાર ધાડપાડુઓનાં કોતરોમાં આવેલ સાવ અંતરિયાળ એવા ગામ પર ત્રાટકવાની પૂરી તૈયારી કરીને સાહેબ નીકળી પડ્યા છે. એમની પૅન્ટ સાથે પટ્ટો પણ હતો અને પટ્ટા સાથે રિવૉલ્વરનું કેસ પણ લટકતું હતું પણ આ શું ? અંદરની રિવૉલ્વર તો ઘરે ટેબલ પર જ મોં વકાસતી રહી ગઈ છે ! જરા વિચારી જુઓ કે એ અર્ધાંગનાને માથે કેવા કેવા અમંગળ વિચારો ઘેરાયા હશે ? શહેરમાં હુલ્લડો ફાટી નીકળ્યાં હોય, સળગતા કાકડા ફેંકાતા હોય, પથ્થરમારો ચાલુ જ હોય, સામસામે ગોળીબાર થતા હોય અને ત્યારે ભરપચીસીમાં તરવરતો કોક કર્તવ્યપરાયણ પોલીસવાળો સામા ઘા ઝીલતો ફના થાય છે. ઘોડિયામાં રમતા બાળક સાથેની માંડ વીસીએ પહોંચેલી ગામડાગામની એ વિધવાની તે શી હાલત ?
હા,  એટલું ખરું કે પોલીસખાતા ની આજે જે છાપ ઉભી થઇ છે એમાં ભ્રષ્ટાચાર જવાબદાર છે. પણ એ ભ્રષ્ટાચાર સરકારી દરેક ખાતામાં ફેલાયેલો છે અને કદાચ પોલીસખાતા કરતા પણ વધારે. ફરક બસ એટલો જ છે કે પોલીસ ભ્રષ્ટાચાર કરે એ આપણને વધુ ખટકે છે કારણ કે એમાં 'આપણને ખાસ કઈ મળતું નથી'.

માનનીય શ્રી જુવાનસિંહ સાહેબ ની સચ્ચાઈને અને માણસાઈની કથા વાંચીને આપણને ફરી એકવાર પોલીશ્ખાતામાં વિશ્વાસ મુકવાની પ્રેરણા મળે છે. 

વીનેશ અંતાણી લખે છે એમ પોલીસખાતાની આડત્રીસ વર્ષોની લાંબી કારકિર્દી એક પણ ડાઘ વિના પૂરી કરવી એ નાનીસુની વાત નથી. પણ અંતરાત્માનો અવાજ સાંભળી અને સાચી-ખોટી વાત ને પારખી યોગ્ય નિર્ણય લેવો એ એક ખરા મર્દ ની નિશાની છે. 

હું ફરી એક વાર આ બ્લોગ ના માધ્યમથી માનનીય શ્રી જુવાનસિંહજી ને અને એમના પત્ની શ્રી અરુણા જાડેજા ને આ પુસ્તક પ્રગટ કરવા માટે આભાર માનું છું અને આવા ખમીરવંત અને નીડર તેમજ જાડેજા હોવાને નાતે મારા વડીલ એવા શ્રી જુવાનસિંહજી ને વંદન કરું છું.

અને છેલ્લે, આ પુસ્તકનું નામ જે મેઘાણી ની કૃતિ સોરઠ, તારા વહેતાં પાણીમાં થી લીધેલ છે એ પંક્તિઓ :

કંથા રણમાં પેઠકે , કેની જોવે વાટ;
સાથી તારાં ત્રણ છે. હૈયું કટારી હાથ.

આ બ્લોગ પોસ્ટ લખવા માટે લીધેલા રેફરન્સ ની લિંક્સ :

  1. www.divyabhaskar.co.in/article/MAG-one-police-officer-word-security-4189900-PHO.html
  2. http://www.readgujarati.com/2011/04/10/kutch-pani/
  3. http://www.readgujarati.com/2013/01/01/hamro-dard/
  4. http://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AB%81%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B7%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8B:%E0%AA%95

Friday, May 10, 2013

પ્રકાશ પાદુકોણે સાથેની મારી મુલાકાત

આ વિશ્વને એક નવા પ્રકાર ના લશ્કરની જરૂર છે - ભલા માણસોનું લશ્કર ~ કલેવલેન્ડ અમોરી.

ઘણા વર્ષો પહેલાં હું બેડમિન્ટન રમતો હતો. બેડમિન્ટન રમવા હું જી.એન.એફ.સી ટાઉનશીપ ના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં જતો. દર વર્ષની માફક એ વર્ષે પણ ઓપન ગુજરાત બેડમિન્ટન ચેમ્પિયનશીપ ત્યાં યોજાય હતી. એ ટુર્નામેન્ટ દરમ્યાન આયોજકોએ ભારતના મહાન બેડમિન્ટન ખિલાડી શ્રી પ્રકાશ પાદુકોણે ને બોલાવ્યા હતા જેથી કરીને અમારા જેવા ઉભરતાં ખેલાડીઓ ને પ્રેરણા મળે. પ્રકાશ પાદુકોણે ભારત ના પ્રથમ ખિલાડી છે જે All England Championship જીતા હતા અને હાલની બોલીવૂડની અભિનેત્રી દીપિકા પાદુકોણે ના પિતા છે.

એ સાંજે અમે બધા ખિલાડીઓ એમને મળવા આતુર હતા અને એમના હસ્તાક્ષર લેવા એમને ઘેરાય ગયા હતા. એ વખતે હું પણ એમના હસ્તાક્ષર લેવા ગયો હતો પણ બીજા સિનીયર ખેલાડીઓએ મને ધક્કો મારીને પાછળ ધકેલી દીધો. આ એમણે જોયું અને એમણે બધા ને સાઈડ પર કરી ને મને હાથે થી ઈશારો કરીને બોલાવ્યો અને મારી પાસે જે કાગળ હતો એમાં સહી કરી આપી અને મારા બેડમિન્ટન ના રેકેટ ના કવર પર પણ જાડી સ્કેચપેનથી સહી કરી આપી.

એ દિવસ મારી સ્મૃતિઓમાં હમેશ ને માટે કંડારાયેલો રહેશે.

Tuesday, May 7, 2013

ચંદ્રકાંત બક્ષીની વાર્તાઓ અને બીજા ગુજરાતી લેખકો ની વાર્તાઓ નો તફાવત

હાલમાં હું ચંદ્રકાંત બક્ષીની ટૂંકી વાર્તાઓ વાંચી રહ્યો છું ('મશાલ' અને 'ચંદ્રકાંત બક્ષીની શ્રેષ્ઠ વાર્તાઓ'). બક્ષીબાબુ ની વાર્તાઓ વાંચી ને મને ઘણી નવાઈ લાગી. કારણ કે આજ સુધી મેં કોઈ ગુજરાતી લેખકે લખેલી એવી વાર્તાઓ નથી વાંચી જેવી બક્ષીબાબુએ લખી છે.

એમની વાર્તાઓમાં ઘણું જ વૈવિધ્ય છે. વૈવિધ્ય ફક્ત વાર્તા ના પ્લોટ નું નથી શબ્દો નું પણ છે. બક્ષીબાબુએ એમની ઘણી વાર્તાઓ માં સેક્સ, ગાળો અને અંગ્રેજી શબ્દો વાપરેલા છે - જે ભાગ્યે જ મેં વાંચેલા ગુજરાતી લેખકોએ લખ્યા હોય.

બક્ષીબાબુની વાર્તાઓ પર થી આપણે એટલું જરૂર કહી શકીએ કે આ માણસે દુનિયા જોઈ છે, પારખી છે અને માણી છે. એમનું વાંચન જબ્બર હોવું જોઈએ, જો જ એ આ પ્રકારની વાર્તાઓ લખી શકે.

એમની આત્મકથા 'બક્ષીનામા' વાંચીને સહું કોઈ કહી ઉઠે - આ એક ખરો મર્દ હતો. એક મર્દ ની માફક જેટલું એ એમના શરીર પ્રત્યે વફાદાર હતા એવી જ મર્દાના એમની કલમ હતી.

ગુજરાતીમાં બીજા જે લેખકોની ટૂંકી વાર્તાઓ વાંચી છે એ બધાં જ લેખકો બહું સારું સારું, સુવાળું સુવાળું લખતા/લખે છે. એમની વાર્તાઓ વાંચીને મજા જરૂર આવે પણ પછી એમની વાર્તાઓ ના પ્લોટ્સ બધાં સરખા જ લાગે - એક મીઠાઈ ખાય ને બીજી ખાવ તેમ. જ્યારે બક્ષીબાબુની કરેક વાર્તા વાસ્તવિકની સાથે સાથે તેજતર્રાર છે. એમાં સેક્સ, ગાળો, બેવફાઈ, નફરત, ખૂન, પ્રેમ, મૃત્યુ, દારુ - બધું જ આવે.

હાલમાં વંચાય રહેલ વાર્તાસંગ્રહ 'મશાલ' માં 'કુત્તી' વાર્તા પણ છે જે વાર્તા ને લીધે ગુજરાત સરકારે એમના પર અશ્લીલ લખાણ માટે કેસ કરેલો.

Monday, May 6, 2013

અમદાવાદ રાષ્ટ્રીય પુસ્તક મેળો

ગઈ કાલે હું પછી પેલા પુસ્તક મેળા માં જઈ આવ્યો. દિપભાઈ ના Knowledge Share પછી મેં જલ્પેશ ને ફોન કર્યો અને એને કીધું કે હું પુસ્તક મેળા માં જાવ છું જો એની આવવાની ઈચ્છા હોઈ તો સાથે જઈએ. જમવાનું બાકી હોવાથી અમે પહેલા થોડી પેટ પૂજા કરી. સાથે વિક્રાંત પણ હતો. અને પછી 3-3.5 કલ્લાક જેવું અમે પુસ્તક મેળા માં ફર્યા. ઘણા પુસ્તકો જોયા અને સહુથી નવાઈ ની વાત તો એ હતી કે ગુજરાતી લોકો પણ પુસ્તકો માં રસ બતાવી ને ખરીદતા હતા!!! મેં 3 પુસ્તકો કરીદ્યા :

  1. એબ્રાહમ લિંકન - મણીભાઈ ભ. દેસાઈ 
  2. હૈયું, કટારી અને હાથ (એક નિવૃત પોલીસ અધિકારીની કારકિર્દી-ગાથા -- જુવાનસિંહ જાડેજા). સંકલન : અરુણા જાડેજા
  3. An Autobiography or The Story of My Experiments with Truth - M. K. Gandhi

Sunday, May 5, 2013

આવતી કાલ નો કાર્યક્રમ

આવતી કાલે રવિવાર છે અને આ રવિવાર ને ઘણી સારી રીતે ઉપયોગ કરવાનો વિચાર છે. પહેલાં તો codelogic.co.in વાળા દીપભાઈ નો Knowledge Share માટે જવાનો છું જ્યાં Advanced DNS નો practical session છે. અને એ પછી જમી ને બપોરે અમદાવાદ માં ચાલી રહેલા પુસ્તક મેળા માં જવાનો વિચાર છે અને સ્વાભાવિક રીતે ઘણાં બધાં પુસ્તકો ખરીદવાનો લાભ મળશે.

બીજું હમણાં નવી એક website ની મને જાણ facebook પર થઇ - www.calllibrary.com . આ website અમદાવાદ, ગાંધીનગર અને વડોદરા માં ઘરે બેઠા પુસ્તકો ઉપલબ્ધ કરાવે છે અને એમણે ઉપર જણાવેલા પુસ્તક મેળા માં stall પણ રાખેલો છે તો એની પણ અવશ્ય મુલાકાત લેવામાં આવશે.

Wednesday, May 1, 2013

ગુજરાત સ્થાપના દિન

આજે પહેલી મે, ગુજરાત સ્થાપના દિવસ. 1960માં બોમ્બે માંથી છુટ્ટા પડી ને બે રાજ્યો થયા ભારત માં - ગુજરાત અને મહારાષ્ટ્ર. આજે એ બન્ને નો જન્મદિવસ છે. સાંજે અહિયાં ગાંધીનગર માં વિધાનસભા પાસે કઈક ઉજવણી થવાની છે એટલે અમે ત્યાં જોવા જવાનું વિચારીએ છીએ.

જય જય ગરવી ગુજરાત. 

મારા વહાલાં બાળકોને - ૫

મારા વાહલા બાળકો, બીલેટેડ હેપ્પી બર્થડે! આ પોસ્ટ તમને ઘણા વખત પહેલાં લખવાની હતી પણ, સમય નો અભાવ અને ખાસ કરીને આળસને લીધે આ પોસ્ટ રહી જ જતી હ...